
નવી દિલ્હી, તા. 08 એપ્રિલ 2023, શનિવાર
દિલ્હીના એક પ્રાઈવેટ હોસ્પિટલે નેત્રહીન લોકોને અનોખું વરદાન આપ્યું છે. હોસ્પિટલે એક 'સ્માર્ટ વિઝન સનગ્લાસ' લોન્ચ કર્યાં છે. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટેક્નોલોજી પર આધારિત છે. આ ગ્લાસની મદદથી નેત્રહીન લોકો ચાલી શકશે અને ચહેરાને ઓળખી શકશે તેમજ વાંચી અને સમજી પણ શકશે. વિઝન ગ્લાસ ખૂબ જ હળવા હોય છે અને તેમાં એક કેમેરાની સાથે એક સેન્સર પણ લગાવેલું હોય છે. આ સિવાય આ ગ્લાસ AI/ML ટેક્નોલોજી સાથે આવે છે. આ જ કારણ છે કે તે નેત્રહીન લોકો માટે એક અસરકારક વિકલ્પ સાબિત થઈ શકે છે.
વિઝન ગ્લાસ ઈમેજને પ્રોજેક્ટ કરે છે. તેનો ઉપયોગ કરનારાઓને ચાલવામાં મદદ કરે છે અને તે સિવાય ઉપરાંત ચહેરાની ઓળખ કરવામાં પણ અસરકારક છે. આ ગ્લાસ સાથે એક સ્માર્ટ ઈયરપીસ પણ હોય છે. જે વ્યક્તિને કંઈક વાંચવા અને સમજવામાં પણ મદદ કરે છે. આ 'સ્માર્ટ વિઝન સનગ્લાસ'માં વોઈસ આસિસ્ટન્સ અને GPS નેવિગેશન પણ છે. તે નેત્રહીનોને નેવિગેટ કરવામાં અને અવરોધોને ટાળવામાં મદદ કરે છે.
આ ચશ્મા અનેક કામોને સરળ બનાવશે
વિઝન એડ ઈન્ડિયા અને બેંગ્લુરુ સ્થિત સ્ટાર્ટઅપ SHG ટેક્નોલોજીના સહયોગથી નેત્રહીનો માટે આ ઉપકરણને ડૉ. શ્રોફની ચેરિટી આઈ હોસ્પિટલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઉપકરણ નેત્રહિન લોકોને જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલવામાં મદદરૂપ છે. સ્માર્ટ વિઝન ગ્લાસ નેત્રહીનો માટે કોઈ વરદાનથી ઓછા નથી. કારણ કે તે તેમના અનેક કામોને સરળ બનાવી શકે છે.
ભારતમાં 1.5 કરોડથી વધું લોકો દૃષ્ટિહીન
સ્માર્ટ વિઝન ગ્લાસ એવા સમયે લોન્ચ કરવામાં આવ્યા છે. જ્યારે ભારતમાં નેત્રહીન દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પ્રમાણે ભારતમાં હાલમાં લગભગ 1.5 કરોડ દૃષ્ટિહીન લોકો છે. જ્યારે 13.5 કરોડ લોકો કોઈને કોઈ કારણોસર આંશિક રીતે અંધ છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9d2EoZI
0 Comments