ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું કે, વિજ્ઞાનની ઉત્પત્તિ વેદો માંથી થઇ છે, પરંતુ આ જ્ઞાન અરેબિયાના માધ્યમથી પશ્ચિમી દેશોમાં પહોંચ્યું અને ત્યાંના વૈજ્ઞાનિકોએ પોતાના નામે તેનો પ્રચાર કર્યો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, બીજગણિત, વર્ગમૂળ, સમયની ગણતરી, આર્કિટેક્ચર, બ્રહ્માંડનો આકાર, ધાતુશાસ્ત્ર અને ઉડ્ડયન જેવી વૈજ્ઞાનિક પદ્ધતીઓનો વેદોમાં પ્રથમ ઉલ્લેખ જોવા મળે છે.

વેદોનું આ જ્ઞાન સંસ્કૃત ભાષામાં હતું અને તે લખાતી ન હતી

એસ. સોમનાથે કહ્યું, સમસ્યા એ હતી કે આ જ્ઞાન સંસ્કૃત ભાષામાં હતું અને આ ભાષા લખાતી ન હતી. લોકો એકબીજા પાસેથી જ્ઞાન લેતા અને તેને યાદ કરતા હતા. પછી પાછળથી, તેને લખવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેઓ ઉજ્જૈનમાં આવેલ મહર્ષિ પાણિની સંસ્કૃત અને વેદ યુનિવર્સિટીમાં સંબોધન દરમિયાન આ વાતનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા હતા. પાણિનીએ જ વિદ્વાન છે જેમણે સંસ્કૃતનું વ્યાકરણ લખ્યું હતું.

સંસ્કૃત સાહિત્ય સાહિત્યિક દૃષ્ટિકોણથી જ નહિ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ મહત્ત્વનું

સોમનાથે કહ્યું કે, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોને સંસ્કૃતમાં બહુ રસ પડે છે. કમ્પ્યુટર માટે આ ભાષા ખૂબ જ સરળ છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તેને સરળતાથી વાંચી શકે છે. ગણતરીમાં સંસ્કૃતનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તેના પર ઘણું સંશોધન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં સંસ્કૃતમાં સર્જાયેલું સાહિત્ય માત્ર સાહિત્યિક દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ મહત્ત્વનું છે. સંસ્કૃતમાં સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભ્યાસ વચ્ચે કોઈ તફાવત નથી.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/u2XEBfi