
વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-3ના લેન્ડીંગ પર છે. અગાઉ આપેલ ISROની માહિતી મુજબ, ભારતનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર લેન્ડ કરશે. જોકે, ગઈકાલે ઈસરોએ માહિતી અપડેટ કરી અને કહ્યું હતું કે, જો ક્યાંયથી એવું લાગે છે કે વાતાવરણ બરાબર નથી, તો અમે વિક્રમનું લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી સ્થગિત કરીશું. હાલમાં ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી થોડાક કિમી દૂર છે.
ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ હાંસલ કરવાનો આ ભારતનો બીજો પ્રયાસ છે. કાઉન્ટડાઉન શરૂ થાય તે પહેલાં, ISROના અધ્યક્ષ એસ સોમનાથ અને કેટલાક અગ્રણી વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3ના મોડલ સાથે તિરુપતિ વેંકટચલપતિ મંદિરની મુલાકાત લીધી હતી અને મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી. ચંદ્રયાન 3 માં ઘણા વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે.
ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથ ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશનના માસ્ટરમાઇન્ડ્સમાંના એક છે. તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારથી ચંદ્રયાન-3, આદિત્ય-એલ1 (સન મિશન) અને ગગનયાન જેવા મહત્વના મિશનને વેગ મળ્યો છે.

પી વીરમુથુવેલે 2019માં ચંદ્રયાન-3 પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે હાલના ISRO હેડક્વાર્ટર ખાતે સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ ઓફિસમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. વીરમુથુવેલે ચંદ્રયાન-2 મિશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

એસ. ઉન્નીકૃષ્ણન નાયર VSSCના વડા અને LVM3 રોકેટના સર્જક છે. તે અને તેની ટીમ મિશનના વિવિધ નિર્ણાયક પાસાઓ માટે જવાબદાર છે.

એમ. શંકરન યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર છે. આ કેન્દ્ર ISRO માટે ભારતના તમામ ઉપગ્રહોનું ઉત્પાદન કરે છે. હાલમાં શંકરન દેશની જરૂરિયાતોને પહોંચી વળવા ઉપગ્રહો બનાવતી ટીમને માર્ગદર્શન આપી રહ્યા છે.

એ. રાજરાજન, એક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક છે અને હાલમાં ભારતના પ્રીમિયર સ્પેસપોર્ટ, શ્રીહરિકોટા ખાતે સતીશ ધવન સ્પેસ સેન્ટર SHARના ડિરેક્ટર છે. રાજરાજન કમ્પોઝિટના ક્ષેત્રમાં નિષ્ણાત છે.

from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PxIHLDo
0 Comments