
અવકાશમાં ઘણી બધી અવકાશીય ઘટનાઓ બને છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. પરંતુ જ્યારથી માનવીએ વિચારવાની અને સમજવાની શક્તિ વિકસાવી છે, ત્યારથી તારાઓ અને અવકાશીય ઘટના વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેના કારણે આજે મનુષ્ય ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયો છે. આજે આપણે એક એવી ખગોળીય ઘટના વિશે વાત કરીશું કે જે ચારસો વર્ષ બાદ દેખાશે. આ ઘૂમકેતુનું નામ નિશિમુરા છે.
ધૂમકેતુ નિશિમુરા શું છે?
આ ધૂમકેતુની શોધ તાજેતરમાં 12 ઓગસ્ટના રોજ થઇ હતી. તેની શોધ જાપાની એસ્ટ્રોફોટોગ્રાફર હિડિયો નિશિમુરા દ્વારા કરવામાં આવી હતી. આ જ કારણ છે કે આ ધૂમકેતુનું નામ ફોટોગ્રાફર નિશિમુરાના નામ પરથી રાખવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ ધૂમકેતુ દર વર્ષે ડિસેમ્બરમાં થતા સિગ્મા હાઈડ્રિડ સાથે જોડાયેલ હોય શકે છે. જ્યારે આ તારો સૂર્યની નજીકથી પસાર થશે ત્યારે તે ધૂળ અને ખડકોના નાના કણોને પાછળ છોડી દેશે.
આ ધૂમકેતુ નિશિમુરા ક્યારે દેખાશે?
ઈંગ્લેન્ડની યુનિવર્સિટીના એસ્ટ્રોફિઝિક્સના ડિરેક્ટર પ્રોફેસરે કહ્યું કે, આ ધૂમકેતુ આપણે કોઈપણ ટેલિસ્કોપ વિના પણ જોઈ શકાશે. વિજ્ઞાનીઓના મતે હાલમાં આ ધૂમકેતુ 3.86 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. આ જ કારણ છે કે 12 સપ્ટેમ્બરે તે પૃથ્વીથી માત્ર 12 કરોડ કિલોમીટર દૂર હશે અને માણસો તેને નરી આંખે પણ જોઈ શકશે. ભારતમાં 12 સપ્ટેમ્બરની વહેલી સવારના ચારથી પાંચ વાગ્યાની વચ્ચે નિશિમુરા દેખાશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LZsxrNK
0 Comments