
Aditya-L1 Mission : ચંદ્ર બાદ હવે ઈસરોના સૂર્ય મિશન પર વિશ્વની નજર ટકેલી છે. ઈસરો દ્વારા સૂર્ય મિશન આદિત્ય-L1(Aditya L1)નું સફળ લોન્ચિંગ બાદ હવે તેના દ્વારા મોકલવામાં આવતા ડેટાને લઈ વિશ્વની મોટી મોટી એજન્સીઓ આંખ ટકાવીને બેઠી છે. આ દરમિયાન ઈસરોએ તેના સૂર્ય મિશનને લઇ નવી માહિતી જાહેર કરી છે. આદિત્ય-L1 મિશન વિષે અપડેટ આપતા તેમણે કહ્યું કે, સ્પેસક્રાફ્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. તે સતત સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબરે તેમાં 16 સેકન્ડનો સુધારો કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં માર્ગ સુધારણા સંબંધિત ફેરફારો હતો, જેને ટ્રેજેક્ટરી કરેક્શન મેન્યુવર (TCM) કહેવામાં આવે છે. ISRO એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, 19 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવેલા ટ્રાન્સ-લેગ્રેંજિયન પોઈન્ટ 1 ઇન્સર્શન (TL1I) ને ટ્રેક કર્યા પછી મૂલ્યાંકન કરાયેલા પાથને સુધારવા માટે આ જરૂરી હતું.
આદિત્ય L1 મિશનનો મુખ્ય હેતુ
આ મિશન હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સૂર્યનો અભ્યાસ કરીને હવામાનની આગાહીની સચોટતામાં પણ વધારો થશે. આનાથી એવી સિસ્ટમ બનાવવામાં મદદ મળશે, જેના દ્વારા વાવાઝોડાની જાણકારી તરત જ મળી જશે અને એલર્ટ જારી કરી શકાશે. સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT), આદિત્ય L1 મિશન માટેનું મુખ્ય સાધન, પુણે સ્થિત ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7kuaBtb

0 Comments